અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અતી ગંભીર બની રહી હોવાની સાબિતી, સિવીલ હોસ્પિટલમાં લાગેલી 108ની એમ્બ્યુલન્સ વાનની લાઈન આપી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાંથી કોરોનાના દર્દીને લઈને સિવીલ હોસ્પિટલમાં એકઠી થયેલી આ 108 એમ્બ્યુલન્સ વાન કહી આપે છે કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની હાલત વિસ્ફોટક રીતે વધી રહી છે.
દર્દીઓ સાથે તેમના સગાંવહાલાં પણ પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ, કોરોનાના કેસો વધતા સિવિલ કેમ્પસમાં પણ સતત બેડ વધારવામાં આવી રહ્યા છે. કેન્સર, કિડની અને હાર્ટ હોસ્પિટલમાં પણ બેડ વધારવા પ્રયાસો થઈ રહ્યા છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલ ફૂલ થતા મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી નવી કિડની હોસ્પિટલ ખાતે દર્દીઓ ખસેડવામાં આવી રહ્યા છે.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પણ ગઈકાલે સ્વીકાર્યુ હતું કે, કોરોનાની સ્થિતિ ગંભિર છે. જેના કારણે અમદાવાદ સહીત રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુ બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓ માટે કરાઈ છે. જો કે સરકારે જે કોઈ વ્યવસ્થા કરી છે તે કોરોનાના દર્દીઓથી ભરાઈ રહી છે અને સરકારે કરેલી વ્યવસ્થા ઓછી પડી રહી છે.
અમદાવાદ શહેરમાં કોરોના કેસો વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર પણ સતત વધી રહ્યા છે. દિન પ્રતિ દિન નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા 335 પર પહોંચી ગઈ છે. થલતેજમાં આવેલા સુવાસ એપાર્ટમેન્ટના તમામ 202 ઘરમાં રહેતા 750 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. કાલે નવા 35 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે. અગાઉના 18 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જો કોરોનાનુ સંક્રમણ આ જ રીતે વધતુ રહ્યું તો એક સમયે જેમ વિદેશમાં રોડ પર લોકોને સારવાર આપવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા તે જ પ્રકારના દ્રશ્યો આપણે ત્યા પણ જોવા મળે તો નવાઈ નહી. સરકારી અને ખાનગી હોસ્પિટલોના ખાટલાઓ કોરોનાના દર્દીઓથી ઝડપથી ભરાઈ રહ્યાં છે. જે ઝડપે કોરોનાના દર્દીઓ પોઝીટીવ આવે છે તે જ ઝડપે હોસ્પિટલોમાં દાખલ કોરોનાના પોઝીટીવ દર્દીઓ નેગેટીવ થઈ શકતા નથી પરીણામે જે દર્દી દાખલ થયા છે તે ઓછામં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં દાખલ થતા હોવાથી, અન્ય દર્દીઓને જગ્યાઓના અભાવે દાખલ કરી શકાતા નથી.
