ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે. તેથી પાન મસાલાનાં ગલ્લાઓ આવતી કાલથી દર શનિ-રવિ પાનનાં ગલ્લાઓ બંધ રહેશે.
રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લે એ પહેલાં અનેક નાના શહેરો અને ગામડાઓ જાતે એલર્ટ બનીને સ્વયંભૂ લોકડાઉન કરવા લાગ્યા છે. તો બીજી બાજુ સરકાર અસમંજસમાં છે કે વિકેન્ડ કર્ફ્યૂ લાદવો કે નહીં, જો કર્ફ્યૂ શનિ રવિમાં નાખવામાં આવે તો વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંધ થઇ શકે છે. પરિણામે હવે બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ લાદી સોમવારથી શુક્રવાર સુધી પુરજોશમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે.
