ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે કોરોના વોરિયર્સ એટલે કે ડૉક્ટરો ખડેપગે દર્દીઓની સેવા કરી રહ્યાં છે. જ્યારથી દેશમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું છે ત્યારથી તેઓ ખડેપગે દિવસ રાત જોયા વગર કોરોના દર્દીઓની સેવા કરી રહ્યાં છે. એવામાં હાલમાં ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે રાજ્યના તબીબો કરી રહેલા દિન રાત સેવાને ધ્યાને રાખતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું હતું. હવે કૉવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉકટર્સને રૂપિયા 13,000 ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન આપવાનો પ્રોત્સાહક નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, હાલમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યાં છે.
લાંબા સમયથી ડોક્ટર્સો દ્વારા પગાર વધારવાની માંગ કરવામાં આવી હતી. જેના કારણે તેઓ હડતાળની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટર્સ ફ્રન્ટલાઇન વોરિયર બનીને પ્રથમ વેવ અને બીજા વેવમાં પણ દેશની પડખે ઉભા રહ્યા છે. તેવામાં આ ડોક્ટર્સને યોગ્ય વળતર મળે તેવી માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.
