રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત રેકોર્ડ બ્રેક નવા કેસો નોંધાઈ રહ્યા છે. રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વ છે. ઉજવણી કરવામાં આવશે.પરંતુ ગરજ મતલબી રાજકારણીઓએ ચૂંટણી કરાવવાની હોવાથી મોટી રેલીઓ સહિતના રાજકીય તાયફા કરી મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરી કોરોના સંક્રમણને વધવા દીધુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત જે સામાજિક મેળાવડા થતા હશે તેને બંધ રાખવામાં આવશે. એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.
આવતીકાલે 200થી વધુ ટીમો રોડ ઉપર ઉતરશે. પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. શહેરમાં આવેલી મોટી ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી બંધ રાખવામાં આવી છે. સોશિયલ મીડીયા કે મીડિયાના માધ્યમથી જો લોકો હોળી ધૂળેટીનો તહેવાર ઉજવતાં ધ્યાને આવશે તો તેને આધાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લખેનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે રાજીનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય.
સત્તા મળી અને હોદ્દાઓની વહેંચણી થતાની સાથે જ ફરી એક વખત કોરોના સંક્રમણની ચિંતા સતાવતી હોય તેમ હોળી અને ધૂળેટી પર્વની તમામ ઉજવણીઓ ઉપર પાબંદી મુકતો પરીપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે કરવામાં આવ્યો છે.બે દિવસ માટે સરકારની ગાઈડલાઈનના ઓથા હેઠળ તમામ કલબો.સ્વીમીંગ પુલ, પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે.
