પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આઠ તબક્કામાં મતદાનને લઈ પ્રશ્નો ઊઠાવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આઠ તબક્કામાં મતદાન કરાવીને કોને લાભ થશે? ચૂંટણી પંચની ઈચ્છા પર સવાલ કરતા ઉમેર્યું કે, ચૂંટણી પંચ આ નિર્ણયથી કોને ફાયદો આપવા માગે છે? અસમમાં એક તબક્કામાં મતદાન થવાનું છે. તો પછી પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામા કેમ? કોની મદદ કરવા માટે?
ભાજપે જે માગ કરી હતી એ પૂરી કરવામાં આવી છે. અડધા જિલ્લાઓમાં પ્રત્યેક દિવસ મતદાન કેમ કરાવવામાં આવશે? એક જિલ્લામાં એક જ દિવસે મતદાન કેમ ન કરાવી શકાય? શું આ એટલા માટે થઈ રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ આવતા પહેલા અસમ તથા તામિલનાડુંમાં પોતાનું પ્રચાર અભિયાન પૂર્ણ કરી શકે? કંઈ પણ થઈ જાય અમે ભાજપને સફળ થવા નહીં દઈએ. અમે ભાજપને ખતમ કરી નાંખીશું. તેઓ લોકોને હિન્દુ અને મુસ્લિમના નામથી વર્ગીકૃત કરી રહ્યા છે. હજું પણ ગેમ યથાવત છે. અમે પણ રમીશું અને જીતીશું. ભાજપ સમગ્ર દેશના ભાગલા પાડી રહી છે. બંગાળમાં પણ તેઓ આવું જ કંઈ કરવા માગે છે. પણ હું આ પ્રદેશની પ્રજાને સારી રીતે ઓળખું છું. હવે તેઓ મુસ્લિમોને પણ વર્ગીકૃત કરવા પ્રયત્નો કરી રહ્યા છે. ચૂંટણી પંચની પત્રકાર પરિષદ પહેલા મુખ્યમંત્રી મમતાએ પશ્ચિમ બંગાળ શહેરી રોજગાર યોજના અંતર્ગત કુશળ, અર્ધકુશળ અને અકુશળ કારીગરોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટ્વીટર પરથી આ અંગેનું એલાન કરી લખ્યું હતું કે, આ જાહેરાતથી પશ્ચિમ બંગાળમાં 56500થી વધારે મજૂરોને લાભ મળી રહેશે.
આ એલાનથી 56500 મજૂરને સીધી અસર થશે. જેમાં 40500 અકુશળ, 8000 અર્ધકુશળ અને 8000 કુશળ કારીગરોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના એલાન અનુસાર હવેથી અકુશળ કારીગરોને કામ હેતું દરરોજ રૂ.202 મળી રહેશે. જે અગાઉ રૂ.144 મળતા હતા. અર્ધકુશળ કારીગરોને હવેથી રૂ.303 મળી રહેશે. જે અગાઉ 172 રૂ. મળતા હતા. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થવાનું છે. જેની સામે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાંધો ઊઠાવ્યો છે. તા.27 માર્ચે પ્રથમ તબક્કા, તા.1 એપ્રિલે બીજા, તા.6 એપ્રિલે ત્રીજા, તા.10 એપ્રિલે ચોથા, તા. 17 એપ્રિલે પાંચમા, તા.22 એપ્રિલે છઠ્ઠા, તા.26 એપ્રિલે સાતમા અને તા.29 એપ્રિલે આઠમા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં એક લાખથી વધારે મતદાન કેન્દ્ર પરથી વોટિંગ થશે. કોરોના વાયરસને ધ્યાને લઈને મતદાન કેન્દ્ર વધારી દેવાયા છે. મતદાનનો સમય પણ એક કલાક વધારી દેવામાં આવ્યો છે.