એક તરફ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. એવામાં સૌ કોઈ ઈચ્છે છે કે, સરકારે આ ત્રણેય કોમોડીટીની વસ્તુઓ પર લાગતો ટેક્સ ઓછો કરે. પણ સરકાર સુધી આવા પડધા પડતા જ હોય એવું ચિત્ર છે. એવામાં હવે આ વિષયને લઈને હરિયાણાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ કુદી પડ્યા છે. તેમણે આપેલા નિવેદનની અનેક રીતે ચર્ચા થઈ રહી છે. હરિયાણાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઓમપ્રકાશ ધનખડે આ ભાવ વધારાને અર્થવ્યવસ્થા માટે જરૂરી ગણાવ્યો છે. હરિયાણા ભાજપ અધ્યક્ષ બન્યા બાદ ઓમપ્રકાશ ધનખડે શનિવારે પ્રથમ વખત ફરિદાબાદની મુલાકાત લીધી હતી.
તેઓ ફરિદાબાદમાં કાર્યકર્તાઓ સાથે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર તથા હરિયાણાના કેબિનેટ મંત્રી મુલચંદ શર્મા, ધારાસભ્ય નરેન્દ્ર ગુપ્તા, રાજેશ નાગર સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સતત અને સખત રીતે વધી રહેલા પેટ્રોલ-ડીઝલના તથા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાને લઈને દેશનો સામાન્ય વર્ગ ત્રાહિમામ પોકારી ગયો છે. બીજી તરફ આ ભાવ વધારાને હરિયાણા ભાજપ અધ્યક્ષ અર્થવ્યવસ્થા માટે જરૂરી ગણાવી રહ્યા છે. ઓમપ્રકાશ ધનખડના જણાવ્યા અનુસાર કોરોનાકાળમાં સર્વત્ર બધુ ઠપ થઈ ગયું હતું. પરંતુ, કેટલીક વસ્તુઓ એવી છે જેના પર અર્થવ્યવસ્થાની જવાબદારી મોટી હોય છે. અર્થવ્યવસ્થાની મજબુતી માટે પેટ્રોલ-ડીઝલ તથા ગેસનો ભાવ વધારો થયો છે. આ ત્રણેય વસ્તુની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે જોડાયેલી છે. ફરિદાબાદ પહોંચેલા ભાજપ અધ્યક્ષે કોંગ્રેસને ટોણો મારતા કહ્યું કે, કોંગ્રેસમાં નકલી ખેડૂતભક્તો છે. રાહુલ ગાંધીને પાકની સમજ કે ઓળખ પણ નથી. આ લોકો સિંધુ બોર્ડર પર ન્યુ યર મનાવનારાઓ માંથી છે.
ફરીદાબાદ પહોંચેલા ધનખડે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને પક્ષલક્ષી એક બેઠક યોજી હતી. આ ઉપરાંત જે રાજ્યમાં ચૂંટણી છે ત્યાં જે તે આગેવાન તથા કાર્યકર્તાઓની ડ્યૂટી નક્કી કરી હતી. તા.6 માર્ચના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે. જોકે, પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવને લઈને હરિયાણા ભાજપ અધ્યક્ષે આપેલા નિવેદનથી સામાન્ય પ્રજાને એક આંચકો લાગ્યો છે. રીઝર્વ બેન્કના ગવર્નર પદ પર રહેલા લોકો ભાવ વધારો ઓછો કરવા સરકારને અપીલ કરે છે ત્યારે અધ્યક્ષ તેને વેગ આપી રહ્યા છે.