રાજ્ય સહિત અમદાવાદમાં હવે કોરોના બેકાબુ બની જતાં સરકારે ધૂળેટીનો તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ કમિશનરના જાહેરનામા અને AMCની ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ આજે શહેરમાં ધૂળેટીના તહેવાર ઉજવનાર કડક કાર્યવાહી કરવા સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ માટે AMC અને JETની ટીમો નીકળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા એસજી હાઇવે પર કર્ણાવતી કલબ, જમાલપુર જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, મણિનગર રામજી મંદિર, વસ્ત્રાપુર સુરેલ એપાર્ટમેન્ટ, ખોખરા કમલ સોસાયટી, પરિશ્રમ સોસાયટી વગેરેમાં ચેકિંગ શરૂ કર્યું હતું.
આજે તંત્રની મસમોટી ફૌજ મેદાનમાં ઉતારી છે, પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે.
એમએમસી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે.
કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.
